GU/Prabhupada 0394 - 'નિતાઈ પદ કમલ' પર તાત્પર્ય

Revision as of 22:38, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Nitai-Pada-Kamala -- Los Angeles, January 31, 1969

નિતાઈ પદ કમલ, કોટિ ચંદ્ર સુશીતલ, જે છાયાય જગત જુરાય. આ ભજન નરોત્તમ દાસ ઠાકુર દ્વારા ગાવામાં આવ્યું છે, ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના એક મહાન આચાર્ય. તેમણે વૈષ્ણવ સિદ્ધાંત વિશે ઘણા બધા ભજનો લખ્યા છે, અને તે પૂર્ણ રીતે વેદિક શિક્ષાઓ સાથે મેળ ખાતા હોવાથી માન્ય છે. તો અહી નરોત્તમ દાસ ઠાકુર ગાઈ રહ્યા છે કે "આખું જગત ભૌતિક અસ્તિત્વની ભભકતી આગ હેઠળ પીડાઈ રહ્યું છે. તેથી, જો વ્યક્તિ ભગવાન નિત્યાનંદના ચરણ કમળની શરણ ગ્રહણ કરે..." જેમનો જન્મદિવસ આજે છે, ૩૧ જાન્યુઆરી, ૧૯૬૯. તો આપણે નરોત્તમ દાસ ઠાકુરની આ શિક્ષાનું આસ્વાદન કરવું જોઈએ કે આ ભૌતિક અસ્તિત્વની ભભકતી આગના સકંજામાથી રાહત મેળવવા માટે, વ્યક્તિ ભગવાન નિત્યાનંદના ચરણ કમળનો આશ્રય લેવો જોઈએ, કારણકે તે લાખો ચંદ્રોની કિરણો જેટલા ઠંડા છે. તેનો મતલબ વ્યક્તિ તરત જ શાંત વાતાવરણ અનુભવશે. જેમ કે એક માણસ આખો દિવસ કામ કરે છે, અને જો તે ચંદ્રપ્રકાશમાં આવશે, તે રાહત અનુભવશે.

તેવી જ રીતે, કોઈ પણ ભૌતિકવાદી માણસ જે ભગવાન નિત્યાનંદના આશ્રય નીચે આવે છે તે તરત જ તે રાહત અનુભવશે. પછી તે કહે છે,

નિતાઈ પદ કમલ, કોટિ ચંદ્ર સુશીતલ,
જે છાયાય જગત જુરાય,
હેનો નિતાઈ બીને ભાઈ રાધા કૃષ્ણ પાઇતે નાઈ,
ધરો નિતાઈ ચરણ દુખાની

તે કહે છે કે "જો તમે ભગવદ ધામ જવા માટે આતુર છો, અને રાધા અને કૃષ્ણના સંગી બનવા આતુર છો, તો શ્રેષ્ઠ નીતિ છે નિત્યાનંદની શરણ ગ્રહણ કરવી." પછી તે કહે છે, સે સંબંધ નાહી જાર, બૃથા જન્મ ગેલો તાર: "જે વ્યક્તિ નિત્યાનંદ સાથે સંપર્ક નથી કરી શક્યું, તેણે પોતાના માટે વિચારવું જોઈએ કે તેણે તેના મૂલ્યવાન જીવનને ફક્ત વેડફી કાઢ્યું." બૃથા જન્મ ગેલો, બૃથા મતલબ વગર કોઈ કારણે, અને જન્મ મતલબ જીવન. ગેલો તાર, વેડફી કાઢ્યું. કારણકે તેણે નિત્યાનંદ સાથે કોઈ સંબંધ નથી બનાવ્યો. નિત્યાનંદ, તે નામ જ, સૂચિત કરે છે... નિત્ય મતલબ શાશ્વત. આનંદ મતલબ આનંદ. ભૌતિક આનંદ શાશ્વત નથી. તે ભેદ છે. તેથી જે લોકો બુદ્ધિશાળી છે, તેમને આ ભૌતિક જગતના અસ્થિર આનંદમાં રુચિ નથી. આપણે દરેક, જીવ તરીકે, આપણે આનંદની પાછળ છીએ. પણ જે આનંદ આપણે શોધીએ છીએ, તે અસ્થિર છે, કામચલાઉ. તે આનંદ નથી. સાચો આનંદ નિત્યાનંદ છે, શાશ્વત આનંદ. તો જે પણ વ્યક્તિને નિત્યાનંદ સાથે સંબંધ નથી, તે સમજવું જોઈએ કે તેનું જીવન વેડફાઇ ગયું છે.

સે સંબંધ નાહી જાર બૃથા જન્મ ગેલો તાર,
સેઈ પશુ બોરો દુરાચાર

નરોત્તમ દાસ ઠાકુર અહી ખૂબ જ કઠોર શબ્દનો ઉપયોગ કરે છે. તે કહે છે કે આવો મનુષ્ય પ્રાણી છે, અનિયંત્રિત પ્રાણી. જેમ અમુક પ્રાણીઓ હોય છે જેમને કાબૂમાં રાખી શકાય નહીં, તો જે પણ વ્યક્તિને નિત્યાનંદ સાથે સંબંધ નથી, તે બેકાબૂ પ્રાણી ગણવો જોઈએ. સેઈ પશુ બોરો દુરાચાર. શા માટે? કારણકે નિતાઈ ના બોઈલો મુખે: "તેણે ક્યારેય નિત્યાનંદના પવિત્ર નામને ઉચ્ચાર્યું નથી." અને મજિલો સંસાર સુખે, "અને આ ભૌતિક સુખમાં લીન થઈ ગયો છે." વિદ્યા કુલે કી કોરીબે તાર. "તે બકવાસ મનુષ્ય જાણતો નથી, કે તેની શિક્ષા, અને પરિવાર, અને પરંપરા અને નાગરિકત્વ તેની શું મદદ કરશે?" આ વસ્તુઓ તેની મદદ ના કરી શકે. આ બધી કામચલાઉ વસ્તુઓ છે. માત્ર, જો આપણને શાશ્વત આનંદ જોઈએ છે, આપણે નિત્યાનંદનો સંપર્ક કરવો જ જોઈએ. વિદ્યા કુલે કી કોરીબે તાર. વિદ્યા મતલબ શિક્ષા, અને કુલ મતલબ પરિવાર, રાષ્ટ્રીયતા. તો આપણને એક બહુ જ સરસ પારિવારિક સંબંધ હોઈ શકે છે, અથવા આપણને બહુ જ સરસ રાષ્ટ્રીય પ્રતિષ્ઠા હોઈ શકે છે, પણ આ શરીર છોડયા પછી, આ વસ્તુઓ મારી મદદ નહીં કરે. હું મારા કાર્યને મારી સાથે લઈ જઈશ, અને કાર્ય પ્રમાણે, મારે બળપૂર્વક બીજા પ્રકારનું શરીર સ્વીકારવું પડશે. તે મનુષ્ય શરીર કરતાં બીજું કોઈ પણ હોઈ શકે છે. તો આ વસ્તુઓ આપણી રક્ષા ના કરી શકે અથવા આપણને સાચો આનંદ ના આપી શકે. તો નરોત્તમ દાસ ઠાકુર સલાહ આપે છે કે વિદ્યા કુલે કી કોરીબે તાર. પછી તે કહે છે, અહંકારે મત્ત હોઈયા. "ખોટી પ્રતિષ્ઠા અને ઓળખની પાછળ પાગલ થઈને..." શારીરિક ખોટી ઓળખ અને શારીરિક સંબંધોની પ્રતિષ્ઠા, તેને અહંકારે મત્ત હોઈયા કહેવાય છે. વ્યક્તિ આ ખોટી પ્રતિષ્ઠા પાછળ પાગલ છે. અહંકારે મત્ત હોઈયા, નિતાઈ પદ પાસરિયા. આ ખોટી પ્રતિષ્ઠાને કારણે આપણે વિચારી રહ્યા છીએ, "ઓહ, નિત્યાનંદ શું છે? તેઓ મારા માટે શું કરી શકે? હું પરવાહ નથી કરતો." તો આ ખોટી પ્રતિષ્ઠાના લક્ષણો છે. અહંકારે મત્ત હોઈયા, નિતાઈ પદ પાશ... અસત્યેરે સત્ય કોરી માની. પરિણામ છે કે હું કોઈ ખોટી વસ્તુ છે તેને સ્વીકારી રહ્યો છું. ઉદાહરણ તરીકે, હું આ શરીરને સ્વીકારી રહ્યો છું. આ શરીર, હું આ શરીર નથી. તેથી, ખોટી ઓળખ સાથે હું વધુ અને વધુ ફસાઈ રહ્યો છું. તો જે વ્યક્તિ આ ખોટી પ્રતિષ્ઠાથી ફુલાયેલો છે, અહંકારે મત્ત હોઈયા, નિતાઈ પદ પા... અસત્યેરે સત્ય કોરી માની, તે કોઈ ખોટી વસ્તુને સાચી માને છે. પછી તે કહે છે, નીતાઈયેર કોરૂણા હબે, બ્રજે રાધા કૃષ્ણ પાબે. જો તમે વાસ્તવમાં ભગવદ ધામ જવા માટે ગંભીર છો, તો કૃપા કરીને નિત્યાનંદની કૃપાની ઈચ્છા રાખો.

નીતાઈયેર કોરૂણા હબે, બ્રજે રાધા કૃષ્ણ પાબે,
ધરો નિતાઈ ચરણ દુખાની

"કૃપા કરીને નિત્યાનંદના ચરણ કમળ પકડી લો." પછી તે કહે છે, નિતાઈયેર ચરણ સત્ય. વ્યક્તિ વિચારી શકે છે કે જેમ આપણે ઘણા બધા આશ્રયને પકડીએ છીએ, પણ આ ભૌતિક જગતમાં પછીથી તે ખોટા સાબિત થાય છે, તેવી જ રીતે, ધારોકે આપણે નિત્યાનંદના ચરણ કમળને પકડી લઈએ - તે પણ ખોટું સાબિત થઈ શકે. પણ નરોત્તમ દાસ ઠાકુર ખાત્રી આપે છે, કે નિતાઈયેર ચરણ સત્ય: "તે ખોટું નથી. કારણકે નિત્યાનંદ શાશ્વત છે, તેમના ચરણ કમળ પણ શાશ્વત છે." તાંહાર સેવક નિત્ય. અને જે પણ વ્યક્તિ નિત્યાનંદની સેવા ગ્રહણ કરે છે, તે પણ શાશ્વત બને છે. શાશ્વત બન્યા વગર, કોઈ પણ વ્યક્તિ શાશ્વતની સેવા ના કરી શકે. તે વેદિક કથન છે. બ્રહ્મ બન્યા વગર, વ્યક્તિ પરબ્રહ્મ સુધી ના પહોંચી શકે. જેમ કે અગ્નિ બન્યા વગર, કોઈ પણ વ્યક્તિ અગ્નિમાં પ્રવેશી ના શકે. પાણી બન્યા વગર, કોઈ પણ વ્યક્તિ પાણીમાં પ્રવેશી ના શકે. તેવી જ રીતે, પૂર્ણ રીતે આધ્યાત્મિક થયા વગર, કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક રાજ્યમાં પ્રવેશી ના શકે. તો નિતાઈયેર ચરણ સત્ય. જો તમે નિત્યાનંદના ચરણ કમળ પકડી લો, તો તમે તરત જ આધ્યાત્મિક બનો છો. જેમ કે જો તમે વીજળીને સ્પર્શ કરો, તરત જ તમે વીજળી બનો છો. તે સ્વાભાવિક છે. તેવી જ રીતે, નિત્યાનંદ શાશ્વત સુખ છે, જો તમે નિત્યાનંદને એક યા બીજી રીતે સ્પર્શ કરો, તો તમે પણ શાશ્વત રીતે સુખી બનો છો. તાંહાર સેવક નિત્યા. તેથી જે વ્યક્તિ નિત્યાનંદ સાથે સંબંધમાં છે, તે પણ શાશ્વત બની ગયા છે.

નિતાઈયેર ચરણ સત્ય, તાંહાર સેવક નિત્ય,
દ્રઢ કોરી ધરો નિતાઈર પાય

તો બસ તેમને મજબૂતાઈથી પકડી લો. નરોત્તમ બોરો દુખી, નિતાઈ મોરે કોરો સુખી. છેલ્લે, નરોત્તમ દાસ ઠાકુર, આ ભજનના રચયિતા, તે નિત્યાનંદને વિનંતી કરે છે, "મારા પ્રિય ભગવાન, હું બહુ જ દુખી છું. તો તમે કૃપા કરીને મને સુખી કરો. અને તમે કૃપા કરીને મને તમારા ચરણ કમળના ખૂણામાં સ્થાન આપો." તે આ ભજનનો સાર છે.