GU/Prabhupada 0363 - કોઈક તમારું મિત્ર હશે, અને કોઈક તમારું શત્રુ હશે



Lecture on SB 7.9.17 -- Mayapur, February 24, 1976

પ્રભુપાદ:

યસ્માત પ્રિય અપ્રિય વિયોગ સંયોગ જન્મ
શોકાગ્નિના સકલ યોનિષુ દહ્યમાન:
દુઃખ-ઔષધમ તદ અપિ દુઃખમ અતદ ધિયાહમ
ભૂમન ભ્રમામી વદ મે તવ દાસ્ય યોગમ
(શ્રી.ભા. ૭.૯.૧૭)

પ્રહલાદ મહારાજ, પાછળના શ્લોકમાં, તેમણે કહ્યું હતું, "હું ખૂબ જ ડરું છું આ ભૌતિક અસ્તિવની પરિસ્થિતિથી, દુઃખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). હવે તેઓ વર્ણન કરે છે કે તે દુઃખના વિવિધ સ્તર શું છે, યસ્માત, આ ભૌતિક અસ્તિત્વના કારણે. આપણે જ્યારે આ ભૌતિક જગતમાં આવીએ છીએ, આપણને કેટલા બધા વ્યક્તિઓ સાથે સંબંધ રહે છે. ભૂતાપ્ત પીતૃણામ, નૃણામ. જેવા આપણે માતાના ગર્ભથી બહાર આવીએ છીએ, કેટલા બધા સંબંધીઓ, મિત્રો હોય છે, ભૂત આપ્ત, પિતૃ, ભૂતાપ્ત, ઋષિ, પિતૃણામ નૃણામ. આપણે જોડાઈએ છીએ. પણ અમુક ખૂબજ નજીકના હોય છે અને અમુક એટલા મૈત્રી ભાવના નથી હોતા - શત્રુઓ.

તો યસ્માત પ્રિયાપ્રીય વિયોગ સંયોગ જન્મ. વિયોગ સંયોગ જન્મ. તો જેવો બાળકનો જન્મ થાય છે, તે તેના પાછલા જીવનથી અલગ થઈ જાય છે, અને તે એક નવા જીવનથી જોડાય છે, નવું શરીર, વિયોગ સંયોગ. હોઈ શકે કે પાછળનું શરીર ખૂબજ સુખકારી હતું, અને આ શરીર બહુ સુખકારી નથી, ઉતરતું છે. તે શક્ય છે. દેહાન્તર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩) એવું નથી કે હમેશા તમને સુખકારી શરીર મળે. પણ માયા શક્તિ એટલી પ્રબળ છે, કે જો વ્યક્તિને એક ભૂંડનું શરીર પણ મળે છે, તે વિચારે છે, "આ ખૂબજ સરસ છે." તેને કહેવાય છે પ્રક્ષેપાત્મિક શક્તિ. માયા પાસે વિશેષ કરીને બે પ્રકારની શક્તિઓ છે - આવરણાત્મિક અને પ્રક્ષેપાત્મિક. સામાન્ય રીતે માયા આપણને ભ્રમથી ઢાંકી દે છે, અને જો વ્યક્તિ થોડા પ્રકાશમાં આવે છે, જો આપણે માયાની ચંગુલથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ છીએ, તો માયાની બીજી શક્તિ છે, જેને કહેવાય છે પ્રક્ષેપાત્મિક. ધારો કો વ્યક્તિ વિચારે છે, "હું હવે કૃષ્ણ ભાવનાભાવિત બનીશ. આ સાધારણ ભૌતિક ચેતના એટલું કષ્ટ આપે છે. ચાલો હું કૃષ્ણ ભાવનાભાવિત બનું." તો માયા કહેશે, "તું આનાથી શું કરીશ? શ્રેષ્ઠ છે તું ભૌતિક ચેતનામાં જ રહે." આને કહેવાય છે પ્રક્ષેપાત્મિક શક્તિ. તેથી ક્યારેક, કોઈ માણસ આપણા સમાજમાં આવે છે, થોડા દિવસો રહે છે, પછી જતો રહે છે. તે પ્રક્ષેપિત છે, ફેંકાઈ ગયેલો. જ્યા સુધી તે બહુ ગંભીર નથી, તે આપણી સાથે ના રહી શકે, તેને ફેંકી મુકવામાં આવશે. તો પ્રહલાદ મહારાજ કહે છે કે આ બે પરિસ્થિતિઓ - કોઈ પ્રસન્ન કરે છે, કોઈ પ્રસન્ન નથી કરતું - આ શાશ્વત કાળથી ચાલી રહ્યું છે. એવું નથી કે, "જો હું મારા આ શરીરને બદલું, આ ક્રિયા પણ રોકાઈ જશે." ના. જ્યા સુધી તમે ભૌતિક જગતમાં છો, ત્યા સુધી તમને આ બે ક્રિયાઓ મળશે. કોઈ તમારો મિત્ર હશે, અને કોઈ તમારો શત્રુ. વિયોગ સંયોગ જન્મ.

તો જેવા શત્રુઓ હોય છે, શોક હોય છે, ચિંતા હોય છે. શોકાગ્નિના. આવો શોક શોકની અગ્નિની જેમ છે. શોકાગ્નિના. શોકાગ્નિના સકલ-યોનિષુ. જો તમે વિચારો કે માત્ર માનવ સમાજમાં આવી વસ્તુઓ છે - કોઈ મિત્ર છે, કોઈ શત્રુ છે - ના. કોઈ પણ સમાજમાં, કોઈ પણ યોનિમાં... તમે જોયું હશે કે ચકલીઓના સમાજમાં પણ, પક્ષીઓના સમાજમાં પણ, તેઓ પણ લડે છે. તમે જોયું છે. તેઓ ખૂબજ નિકટ રીતે મળે છે, અને ફરીથી લડે છે. તો ભલે તમે પક્ષીઓને લો કે કુતરાઓને. તેઓ લડવા માટે પ્રસિદ્ધ છે. તો આ ચાલી રહ્યું છે, કોઈ ખૂબજ નિકટનો પ્રિય, કોઈ શત્રુ અને તેમની વચ્ચે લડાઈ ચાલી રહી છે. સકલ-યોનિષુ દહ્યમાન: તમે એક સમાજને છોડીને બીજા સમાજમાં જઈને બચી ના શકો. તે શક્ય નથી. તેથી મતભેદની આગ, શત્રુત્વ અને મિત્રતા, તે ચાલતું રહેશે, અહીં જ નહીં, પણ સ્વર્ગ લોકોમાં પણ. સ્વર્ગલોકોમાં દેવતા અને અસુરો વચ્ચે લડાઈ થાય છે. અસુરો દેવોથી ઈર્ષાળુ છે, અને દેવો પણ અસુરોથી ઈર્ષાળુ છે. બધી જગ્યાએ. રાજા ઇન્દ્રને પણ, ભલે તે ખૂબજ વૈભવશાળી છે, તેને શત્રુઓ છે. આપણને તે સ્વર્ગ લોકમાં જવું છે, તે વાતાવરણના ઐશ્વર્યનો ભોગ કરવા માટે, પણ ત્યાં પણ તે જ વસ્તુ છે.