GU/Prabhupada 0608 - ભક્તિમય સેવા, આપણે ધૈર્ય, ઉત્સાહથી કરવી પડે



The Nectar of Devotion -- Vrndavana, October 20, 1972

નરોત્તમ દાસ ઠાકુર, આટલા ઉન્નત આચાર્ય, તેઓ આપણને શીખવાડે છે, "યુગલ-પ્રીતિ સમજવાનો પ્રયત્ન ના કરો, રાધા અને કૃષ્ણ વચ્ચેના પ્રેમમય કાર્યકલાપો, તાર્કિક રીતે, તમારા પોતાના માનસિક તર્કોથી." ના. તમે સૌ પ્રથમ છ ગોસ્વામીઓ, રૂપ-રઘુનાથ પદે હઈબે આકુતિ, કેવી રીતે તેઓ નિર્દેશ આપી રહ્યા છે. જેમ કે ભક્તિ રસામૃત સિંધુ. શ્રીલ રૂપ ગોસ્વામી શરૂઆતમાં રાધા-કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપો નથી શીખવાડતા. ના. તેઓ શીખવાડે છે, સૌ પ્રથમ, વાચકે, ભક્તે, કેવી રીતે સૌ પ્રથમ શુદ્ધ ભક્ત બનવું.

અન્યાભિલાષીતા શૂન્યમ
જ્ઞાન કર્માદિ અનાવૃતમ
આનુકૂલ્યેન કૃષ્ણાનુ
શીલનમ ભક્તિર ઉત્તમ
(ભ.ર.સિ. ૧.૧.૧૧)

સૌ પ્રથમ, તેઓ ભક્તને પ્રમાણભૂત ભક્તિમય સેવા પર લાવવાનો પ્રયાસ કરે છે. વિધિમાર્ગ. પછી ધીમે ધીમે, જ્યારે તે જાણકાર થઈ જાય છે, પછી રાગમાર્ગ બતાવવામાં આવશે. રાગમાર્ગ કૃત્રિમ નથી. તે બને છે, સ્વયમ એવ સ્ફુરતી અધ: સેવોનમુખે હી જિહવાદૌ... (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). દરેક વસ્તુ, કૃષ્ણ સાથેનો ભક્તિ સંબંધ, તમે કૃત્રિમ રીતે સ્થાપિત ના કરી શકો. દરેક વ્યક્તિને તેની મૂળ બંધારણીય સ્થિતિમાં કૃષ્ણ સાથે એક વિશેષ સંબંધ હોય છે. તે તમારી સમક્ષ ધીમે ધીમે પ્રકટ થશે જેમ તમે ભક્તિમાં પ્રગતિ કરશો ગુરુ અને શાસ્ત્રમાં આપેલા નીતિ અને નિયમોનું પાલન કરીને. જ્યારે તમે યોગ્ય રીતે પ્રશિક્ષિત થઈ જશો, તમે રાગમાર્ગના સ્તર પર આવો છો, પછી તમારો સંબંધ... તેને સ્વરૂપસિદ્ધિ કહેવાય છે. સ્વરૂપસિદ્ધિ. તો સ્વરૂપસિદ્ધિ એક વિશેષ સ્તર પર મેળવાય છે. જેમ કે સ્વરૂપસિદ્ધિ... મૈથુન જીવનની ઈચ્છા દરેક મનુષ્યમાં હોય છે, પણ જ્યારે છોકરો અને છોકરી પરિપક્વ સ્તર પર આવે છે, તે વ્યક્ત થાય છે. તે કૃત્રિમ રીતે શીખવાડવામાં નથી આવતું. તેવી જ રીતે, રાગમાર્ગ, સ્વરૂપસિદ્ધિ, પ્રકટ અથવા વ્યક્ત થાય છે. શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરયે ઉદય. ઉદય. આ શબ્દ, ઉદય, વપરાયો છે. જેમ કે સૂર્ય. સૂર્ય દ્રશ્ય થાય છે જ્યારે સૂર્ય આપમેળે ઊગે છે. તો તમે સૂર્યને મધ્યરાત્રિએ બળજબરી ના કરી શકો. તે શક્ય નથી. સૂર્ય ઉદય થશે. તમે ફક્ત રાહ જુઓ. જ્યારે ઉચિત સમય આવશે, સવારે, છ વાગે, તમે સૂર્યને જોશો.

તેવી જ રીતે, ભક્તિમય સેવા, આપણે ધીરજ સાથે પાલન કરવાની છે, ઉત્સાહ સાથે. ઉત્સાહાત ધૈર્યત નિશ્ચયાત તત તત કર્મ પ્રવર્તનાત (ઉપદેશામૃત ૩). આપણે ઉત્સાહી હોવા જ જોઈએ કે આપણે... "હું પોતાને કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં ખૂબ જ સરસ રીતે જોડીશ." તે પ્રથમ યોગ્યતા છે, ઉત્સાહ. નિરુત્સાહ તમને મદદ નહીં કરે. તમારે બહુ જ ઉત્સાહી હોવું જોઈએ. મારા ગુરુ મહારાજ કહેતા હતા, પ્રાણ આછે યાર સેઈ હેતુ પ્રચાર. એક પ્રચારક, એક વ્યક્તિ પ્રચારક બની શકો જો તેને પ્રાણ હોય તો. એક મૃત વ્યક્તિ પ્રચારક ના બની શકે. તો તમે બહુ જ ઉત્સાહી હોવા જોઈએ કે "હું મારા શ્રેષ્ઠ સામર્થ્યથી ભગવાનની મહિમાનો પ્રચાર કરીશ." એવું નથી કે વ્યક્તિએ એક પ્રચારક બનવા માટે બહુ જ શિક્ષિત વિદ્વાન બનવું પડે. તેને ફક્ત ઉત્સાહની જરૂર છે, "મારા ભગવાન એટલા મહાન છે, એટલા દયાળુ, એટલા સુંદર, એટલા અદ્ભુત. તો મારે મારા ભગવાન વિશે કઈક બોલવું જ જોઈએ." આ યોગ્યતા છે, ઉત્સાહ. તમે કૃષ્ણને પૂર્ણ રીતે જાણતા ના પણ હોવ. કૃષ્ણને પૂર્ણ રીતે જાણવું શક્ય નથી. કૃષ્ણ અસીમિત છે. આપણે કૃષ્ણને સો ટકા ના જાણી શકીએ. તે શક્ય નથી. પણ કૃષ્ણ જ્યાં સુધી તમે સમજી શકો પોતાને પ્રકટ કરે છે. તો જો આપણે કૃષ્ણના ગંભીર સેવક છીએ, ઉત્સાહાન, અને જો આપણે ધીરજથી સેવા કરીએ, તો કૃષ્ણ પ્રકટ કરે છે.

આ સંદર્ભમાં ઉદાહરણ આપેલું છે. જેમ કે એક છોકરી વિવાહિત છે. સામાન્ય રીતે, એક છોકરીને બાળક જોઈતું હોય છે. પણ જો તેને બાળક વિવાહ પછી તરત જ જોઈતું હોય, તે શક્ય નથી. તેણે રાહ જોવી જ જોઈએ. તેણે તેના પતિની સરસ રીતે સેવા કરવી જ જોઈએ. ઉત્સાહાન ધૈર્યત તત તત કર્મ પ્રવર્તનાત (ઉપદેશામૃત ૩). જેમ કે એક વિશ્વાસુ પત્ની. સમય આવશે કે જ્યારે તે ગર્ભવતી બનશે અને તેને બાળક થશે. તો નિશ્ચયાત મતલબ... જેમ કે છોકરીને તે ખબર હોવી જ જોઈએ કે કારણકે તે વિવાહિત છે, કારણકે તેને પતિ છે, બાળક આવશે જ. તે હકીકત છે. તે થોડું મોડુ હોઈ શકે. તેવી જ રીતે, જ્યારે તમે ભક્તિમય સેવામાં પ્રવેશ કર્યો છે, ભક્તિયોગ, ભક્તિમાર્ગ, તમારી સફળતા નિશ્ચિત છે, જો તમે ઉત્સાહી અને ધૈર્યવાન હોવ તો. એવું નહીં કે "તરત જ મને બાળક જોઈએ છે," "તરત જ હું પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત બની જાઉં અને સિદ્ધ થઈ જાઉં." ના. ઘણી બધી અપૂર્ણતાઓ હોઈ શકે છે. કારણકે આપણે અપૂર્ણ વાતાવરણમાં છીએ. પણ ધૈર્યથી, જો તમે શાસ્ત્રમાં બતાવ્યા અનુસાર તમારી ભક્તિમય સેવાના કર્તવ્યો પાલન કરતાં જાઓ અને તમારી ગુરુની આજ્ઞા અનુસાર, તો તમે ખાત્રી રાખો કે તમારી સફળતા નિશ્ચિત છે. આ માર્ગ છે. ઉત્સાહાન ધૈર્યાત તત તત કર્મ પ્રવર્તનાત (ઉપદેશામૃત ૩). તમારે કર્તવ્યોનું પાલન કરવું જ જોઈએ.

જેમ કે અમે અમારા વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી સોળ માળા કરવાનું કહ્યું છે. સોળ માળા કઈ જ નથી. વૃંદાવનમાં ઘણા ભક્તો છે, તેઓ ૧૨૦ માળાનો જપ કરે છે. એવું છે. તો સોળ માળા ઓછામાં ઓછી છે. કારણકે હું જાણું છું કે પાશ્ચાત્ય દેશોમાં ૬૪ અથવા ૧૨૦ માળા જપ કરવી ઘણું અઘરું કાર્ય છે. ઓછામાં ઓછી સોળ માળા. તે થવી જ જોઈએ. તત તત કર્મ પ્રવર્તનાત. આ નિર્દેશ છે. નીતિ નિયમોનું પાલન કરવું. આ રીતે, આપણે શાસ્ત્ર અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. પછી નિશ્ચિંત રહો. સફળતાની ખાત્રી છે.