GU/Prabhupada 0284 - મારો સ્વભાવ આધીન રહેવું તે છે



Lecture -- Seattle, September 30, 1968

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ખૂબજ સરળ છે. ખૂબજ સરળ. તેનો વિશેષ કરીને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા શુભારંભ કરવામાં આવેલો છે. ભલે તે ખૂબજ જૂનું છે, વૈદિક સાહિત્યમાં, પણ છતાં ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોઈએ, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પાછળના પાંચ હજાર વર્ષોથી છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલ ઉપર પ્રકટ થયા હતા, અને પછી, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, પાંચ સો વર્ષ પેહલા, તેમણે આ આંદોલનને વિસ્તારિત કર્યું હતું, કૃષ્ણ ભાવનામૃત. તેમનું લક્ષ્ય, ભગવાન ચૈતન્યનું લક્ષ્ય છે, આરાધ્યો ભગવાન વ્રજેશ તનય: જો તમારે પ્રેમ કરવો છે, જો તમારે આધીન થવું છે... દરેક વ્યક્તિ આધીન છે. આ ખોટું છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર થવા માગે છે, પણ કોઈપણ સ્વતંત્ર નથી. દરેક વ્યક્તિ આધીન છે. કોઈ પણ તેમ ના કહી શકે કે "હું સ્વતંત્ર છું." શું તમે કહી શકો છો, તમારામાંથી કોઈ પણ, કે તમે સ્વતંત્ર છો? છે કોઈ? ના. દરેક વ્યક્તિ આધીન છે, સ્વેચ્છાથી. બળ પૂર્વક નહીં. દરેક વ્યક્તિ આધીન બને છે. એક છોકરી એક છોકરાને કહે છે, "હું તને આધીન બનવા માગું છું," સ્વેચ્છાથી. તેવી જ રીતે એક છોકરો એક છોકરીને કહે છે, "હું તને આધીન બનવા માગું છું." કેમ? તે મારો સ્વભાવ છે. હું આધીન બનવા માગું છું કારણકે મારો સ્વભાવ છે આધીન બનવું. પણ હું તે જાણતો નથી. મને ગમે છે... હું આ આધિનતાનો તિરસ્કાર કરીને, બીજી આધિનતાનો સ્વીકાર કરું છું. પણ આધિનતા તો છે. જેમ કે નોકર. તે અહીં નોકરી કરે છે. તેને બીજી જગ્યાએ વધારે પગાર મળે છે, તે ત્યાં જાય છે. પણ તેનો એ અર્થ નથી કે તે સ્વતંત્ર બને છે. તે આધીન છે. તો ભગવાન ચૈતન્ય શીખવાડે છે કે જો તમારે આધીન બનવું છે અથવા તમારે કોઈની ઉપાસના કરવી છે... કોણ બીજાની પૂજા કરે છે? જ્યા સુધી તમે બીજા વ્યક્તિને તમારા કરતા શ્રેષ્ઠ ન માનો, ત્યા સુધી તમે કેમ તેની ઉપાસના કરો? હું મારા સાહેબની પૂજા કરું છું કારણકે હું વિચારું છું કે તે મારા કરતા શ્રેષ્ઠ છે. તે મને માસિક પગાર આપે છે, છ સો ડોલર. તેથી મારે તેમની પૂજા કરવી જ જોઈએ, મારે તેમને પ્રસન્ન કરવા જ જોઈએ.

તો ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે તમે કૃષ્ણના આધીન બની જાઓ. આરાધ્યો ભગવાન વ્રજેશ-તનય: જો તમારે કોઈને પૂજા કરવી છે, તમે કૃષ્ણની પૂજા કરો. અને પછી, તદ ધામમ વૃન્દાવનમ. જો તમારે કોઈની પૂજા કરવી છે કે કોઈને પ્રેમ કરવો છે, તો કૃષ્ણને પ્રેમ કરો અથવા કૃષ્ણની પૂજા કરો, અથવા તેમનું ધામ વૃંદાવન. કારણકે બધા કોઈક જગ્યાને પ્રેમ કરવા ઈચ્છે છે. તે હવે રાષ્ટ્રવાદ છે - કોઈ દેશ. કોઈ કહે છે, "હું આ અમેરિકન ભૂમીને પ્રેમ કરું છું." કોઈ કહે છે, "હું આ ચીની ભૂમીને પ્રેમ કરું છું." કોઈ કહે છે, "હું આ રશિયન ભૂમીને પ્રેમ કરું છું." તો દરેક કોઈ જગ્યાને પ્રેમ કરવા માંગે છે. ભૌમ-ઇજ્ય-ધી. ભૌમ-ઇજ્ય-ધી. લોકો સ્વાભાવિક રીતે કોઈ એક ભૌતિક પ્રદેશને પ્રેમ કરવા ઈચ્છે છે. સામાન્ય રીતે, જ્યાં તેણે જન્મ લીધો છે તેને પ્રેમ કરવાનો પ્રયાસ કરે છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે "કારણકે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરવા ઈચ્છો છો, તમે કૃષ્ણને પ્રેમ કરો. કારણકે તમારે કોઈ ભૂમીને પ્રેમ કરવો છે, તમે વૃંદાવનને પ્રેમ કરો." આરાધ્યો ભગવાન વ્રજેશ તનયસ તદ ધામ વૃંદાવનમ. પણ જો કોઈ કહે છે, "કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવો? હું કૃષ્ણને જોઈ નથી શકતો. કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવો?" ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, રમ્યા કાચીદ ઉપાસના વ્રજવધુ વર્ગેણ યા કલ્પિતા. જો તમારે શીખવું છે, અથવા જો તમારે જાણવું છે, કૃષ્ણની પૂજાની વિધિ, અથવા કૃષ્ણને પ્રેમ કરવાની વિધિ, બસ તમે ગોપીઓના પદચિહ્નોનું અનુસરણ કરો. ગોપીઓ. ગોપીઓ, તેમનો પ્રેમ - શ્રેષ્ઠ સિદ્ધિનો પ્રેમ. રમ્યા કાચીદ ઉપાસના. દુનિયામાં વિવિધ પ્રકારના પ્રેમ કે ઉપાસનાઓ છે. શરૂઆત છે, "ઓ ભગવાન, તમે અમને અમારી રોજી રોટી આપો." તે શરૂઆત છે. જ્યારે આપણે, મારા કહેવાનો અર્થ છે, ભગવાનને પ્રેમ કરવાનું શિખીએ છીએ, આપણને શિક્ષણ મળે છે કે: "તમે મંદિર જાઓ, ચર્ચ જાઓ, ભગવાનને પ્રાર્થના કરો તમારી જરૂરીયાતો માટે, તમારા કષ્ટો માટે." તે શરૂઆત છે. પણ તે શુદ્ધ પ્રેમ નથી. શુદ્ધ પ્રેમ, શુદ્ધ પ્રેમની સિદ્ધિ, ગોપીઓમાં મળે છે. તે ઉદાહરણ છે.

કેવી રીતે? કેવી રીતે તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે? તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે. કૃષ્ણ ગયા હતા... કૃષ્ણ એક ગોપાળ હતા, અને તેમના બીજા મિત્રો, બીજા ગોપાળો, તેઓ તેમની ગાયો સાથે રોજ આખો દિવસ ઘાસ ચરાવવા જતા હતા. તે પદ્ધતિ હતી. કારણકે તે સમયમાં લોકો માત્ર ગાયો અને જમીન સાથે સંતુષ્ટ હતા, બસ. તે બધા પ્રકારની આર્થિક સમસ્યાઓના સમાધાનનો માર્ગ હતો. તેઓ ઔદ્યોગિક ન હતા, તેઓ કોઈના નોકર ન હતા. માત્ર જમીનથી ઉપજ લો અને ગાયોથી દૂધ લો અને સમસ્ત આર્થિક સમસ્યાનો ઉકેલ.