GU/Prabhupada 0381 - 'દશાવતાર સ્તોત્ર' પર તાત્પર્ય



Purport to Sri Dasavatara Stotra -- Los Angeles, February 18, 1970

પ્રલય પયોધી જલે ધૃતવાન અસિ વેદમ, વિહિત વહિત્ર ચરિત્રમ અખેદમ. આજે ભગવાન કૃષ્ણનો વરાહ (સૂવર) તરીકે અવતરિત થવાનો દિવસ છે. તેમણે ગર્ભોદક સમુદ્રમા ડૂબેલી પૃથ્વીને ઊંચકી હતી. આ બ્રહ્માણ્ડ જે આપણે જોઈએ છીએ, તે ફક્ત અડધું હતું. બીજું અડધું પાણી હતું, અને તે પાણીમાં ગર્ભોદકશાયી વિષ્ણુ આરામ કરે છે. તો એક રાક્ષસ, હિરણ્યાક્ષ, તેણે આ પૃથ્વીને તે પાણીમાં ધકેલી દીધી, અને ભગવાન કૃષ્ણે આ પૃથ્વી ગ્રહને તે પાણીમાથી બહાર કાઢી, એક સૂવરના રૂપમાં. તો તે શુભ દિવસ આજે છે, વરાહ દ્વાદશી. આને વરાહ દ્વાદશી કહેવાય છે. તો આજના દિવસે આ બ્રહ્માણ્ડમાં અવતરિત થયેલા ભગવાનના વિભિન્ન અવતારો વિશે ગાવું, ગુણગાન કરવું અત્યંત શુભ છે. પ્રથમ અવતાર છે માછલીના રૂપમાં.

તો આ પ્રાર્થનાઓ જયદેવ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. એક વૈષ્ણવ કવિ, આશરે સાતસો વર્ષો પહેલા ભગવાન ચૈતન્યના અવતાર પહેલા પ્રકટ થયેલા. તે એક મહાન ભક્ત હતા, અને તેમની વિશેષ કવિતા, ગીત ગોવિંદ, આખા દુનિયામાં પ્રખ્યાત છે. ગીત ગોવિંદ. ગીત ગોવિંદની વિષય વસ્તુ છે કૃષ્ણ રાધારાણી વિશે જે વાંસળી વગાડે છે તે. તે ગીત ગોવિંદની વિષય વસ્તુ છે. તે જ કવિએ, જયદેવ ગોસ્વામીએ, આ પ્રાર્થના કરેલી છે, પ્રલય પયોધી જલે ધૃતવાન અસિ વેદમ. તે કહે છે, "મારા પ્રિય ભગવાન, જ્યારે આ બ્રહ્માણ્ડનો નાશ થયો હતો, બધી જ વસ્તુ પાણીથી ભરાઈ ગઈ હતી. તે સમયે તમે વેદોને બચાવ્યા, એક હોડીમાં જથ્થો કરીને. અને તમે એક મોટી માછલીના રૂપમાં નાવડીને પકડી રાખી અને ડૂબતાં બચાવી." આ માછલી સૌ પ્રથમ એક પાણીના ઘડામાં એક નાની માછલીની જેમ સમાયેલી હતી. પછી તે મોટી થઈ, અને માછલીને મોટા પાણીના જળાશયમાં રાખવામા આવી. આ રીતે માછલી વધી રહી હતી. પછી માછલીએ સૂચના આપી કે "પ્રલય આવી રહ્યો છે. તમે બધા વેદોને એક હોડીમાં રાખો, અને હું તેની રક્ષા કરીશ." તો જયદેવ ગોસ્વામી પ્રાર્થના કરી રહ્યા છે, "મારા ભગવાન, તમે વેદોને બચાવ્યા, જ્યારે પ્રલય હતો, એક માછલીના રૂપમાં."

પછી છે કૂર્માવતાર. સમુદ્ર મંથન કરવાનું હતું. એક બાજુ બધા જ દેવતાઓ અને બીજી બાજુ બધા જ દાનવો. અને મંથનનો દંડો હતો એક મહાન પર્વત જેને મંદર પર્વત કહેવાય છે. અને તેની રહેવાની જગ્યા હતી ભગવાનની પીઠ, એક કાચબા તરીકે અવતરિત થઈને. તો તે તેમની પાર્થના કરી રહ્યા છે "તમે એક કાચબા તરીકે અવતરિત થયા ફક્ત એક આશરો આપવા માટે. અને આ થયું કારણકે તમને તમારી પીઠ પર થોડી ખંજવાળ આવતી હતી. તો તમે આ મોટા દંડાને, મંદર પર્વતને, ખંજવાળવા માટેના સાધન તરીકે સ્વીકાર કર્યો."

પછીના અવતાર છે આ વરાહ, સૂવર અથવા ડુક્કર. તેમણે આ પૃથ્વી ગ્રહનો દંતશૂળ વડે ઉદ્ધાર કર્યો, અને તેમણે આખા જગતને તેમના દંતશૂળ પર રાખ્યું. આપણે જરા કલ્પના કરી શકીએ છીએ કે કેટલા વિશાળકાય તેઓ અવતરિત થયા હશે. અને આખું જગત તે સમયે એક ચંદ્રની સપાટી જેવુ લાગતું હતું કે જેના પર થોડા ડાઘા હતા. તો કેશવ ધૃત વરાહ શરીર. તે કહે છે, "મારા પ્રિય પ્રભુ, તમે એક મહાન સૂવર તરીકે અવતરિત થયા છો. તો મને મારા આદરપૂર્વક દંડવત પ્રણામ તમને અર્પણ કરવા દો."

ચોથા અવતાર છે નરસિંહ દેવ. નરસિંહ દેવ પ્રહલાદ મહારાજની રક્ષા માટે પ્રકટ થયા, કે જે (પ્રહલાદ મહારાજ) પાંચ વર્ષના બાળક હતા અને તેમના નાસ્તિક પિતા દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા હતા. તો, તેઓ રાજમહેલના થાંભલામાથી પ્રકટ થયા, અડધા-મનુષ્ય, અડધા-સિંહ તરીકે. કારણકે આ હિરણ્યકશિપુએ બ્રહ્મા પાસેથી વરદાન લીધું હતું, કે તેની હત્યા કોઈ પણ મનુષ્ય કે પ્રાણી દ્વારા નહીં થાય. તો ભગવાન અવતરિત થયા ન તો મનુષ્ય તરીકે કે ન તો પ્રાણી તરીકે. આ ભગવાનની બુદ્ધિ અને આપણી બુદ્ધિમાં ફરક છે. આપણે વિચારીએ છીએ કે આપણે ભગવાનને આપણી બુદ્ધિથી છેતરી શકીએ છીએ, પણ ભગવાન આપણા કરતાં વધુ બુદ્ધિશાળી છે. આ હિરણ્યકશિપુ પરોક્ષ વ્યાખ્યા કરીને બ્રહ્માને છેતરવા માંગતો હતો. સૌ પ્રથમ તેને અમર થવું હતું. બ્રહ્માએ કહ્યું, "તે શક્ય નથી કારણકે હું પણ અમર નથી. આ ભૌતિક જગતમાં કોઈ પણ અમર નથી. તે શક્ય નથી." તો હિરણ્યકશિપુ, રાક્ષસ... રાક્ષસો બહુ જ બુદ્ધિશાળી હોય છે. તેણે વિચાર્યું કે "ગોળ ગોળ ફેરવીને, હું અમર બની જઈશ." તેણે બ્રહ્માને પ્રાર્થના કરી કે "કૃપા કરીને મને વરદાન આપો, કે હું કોઈ મનુષ્ય કે પ્રાણી દ્વારા ના મરી શકું." બ્રહ્માએ કહ્યું, "હા, તે ઠીક છે." "હું આકાશમાં, પાણીમાં, કે ધરતી પર ના મરું." બ્રહ્માએ કહ્યું, "ઓહ, હા." "હું કોઈ માનવ-સર્જિત હથિયારથી ના મરું." "તે ઠીક છે." આ રીતે, તેણે તેની બુદ્ધિનો ઉપયોગ ઘણી રીતે કર્યો, ફક્ત તેના અમર બનવાના નિષ્કર્ષ પર આવવા માટે. પણ ભગવાન એટલા નિપુણ છે, કે તેમણે બ્રહ્માના બધા જ વરદાનોને રાખ્યા, છતાં તેનો વધ થયો. તેણે કહ્યું કે "હું દિવસે કે રાત્રે નહીં મરું." બ્રહ્માએ કહ્યું "હા." અને તેનો વધ થયો બિલકુલ સંધ્યાએ, દિવસ અને રાતના મેળ પર. તમે કહી ના શકો કે તે દિવસ છે કે રાત છે. તેણે વરદાન લીધું કે "હું આકાશ, પાણી કે ધરતી પર ના મરું." તો તેને તેમના ખોળામાં મારવામાં આવ્યો. તેણે વરદાન લીધું હતું કે "મારી હત્યા કોઈ માનવ-સર્જિત અથવા ભગવાન-સર્જિત હથિયારથી ના થાય." તે આપવામાં આવ્યું હતું, "ઠીક છે." તો તેની હત્યા નખોથી થઈ. આ રીતે, બધા જ વરદાન રહ્યા, છતાં તેની હત્યા થઈ. તેવી જ રીતે, આપણે યોજનાઓ બનાવી શકીએ છીએ, આપણે વૈજ્ઞાનિક જ્ઞાનમાં ખૂબ જ પ્રગતિ કરી શકીએ છીએ, પણ પ્રકૃતિની મારવાની ક્રિયા તો રહેશે જ. કોઈ પણ છૂટી નહીં શકે. આપણી બુદ્ધિથી આપણે છૂટી ના શકીએ. ભૌતિક અસ્તિત્વના ચાર સિદ્ધાંતો મતલબ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. આપણે ઘણી બધી દવાઓ, ઘણા હથિયારો, ઘણા સાધનો, ઘણી પદ્ધતિઓ બનાવી શકીએ છીએ, પણ તમે ભૌતિક અસ્તિત્વના ચાર સિદ્ધાંતોથી છૂટી ના શકો, ભલે ગમે તેટલા મહાન તમે કેમ ના હો. તે હિરણ્યકશિપુએ સાબિત કરી આપ્યું. હિરણ્યકશિપુ એક મક્કમ ભૌતિકવાદી હતો, અને તેને હમેશ માટે જીવવું હતું, આનંદ કરવો હતો, પણ તે જીવી ના શક્યો. બધુ જ સમાપ્ત થઈ ગયું.